‘ધોનીએ બહાર કર્યા પછી નિવૃત્તિનો હતો વિચાર પણ..!’ વિરેન્દર સેહવાગ નું ચોંકાવનારું સ્ફોટક નિવેદન

By: Krunal Bhavsar
15 Aug, 2025

વીરેન્દ્ર સેહવાગ : ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં વીરેન્દ્ર સેહવાગનું નામ તેજસ્વી તારાની જેમ ચમકે છે. આ ઓપનિંગ બેટ્સમેન પોતાની તોફાની બેટિંગ શૈલી માટે જાણીતો છે. સેહવાગના સ્ટ્રાઇક રેટ આ બાબતના પુરાવા આપે છે – ટેસ્ટ મેચોમાં તેમનો સ્ટ્રાઇક રેટ 82.23 રહ્યો હતો જ્યારે વનડે ફોર્મેટમાં 104.33 ની ઝડપે રન બનાવ્યા હતા. ખાસ કરીને 2011 ના વનડે વર્લ્ડ કપમાં ભારત ને ચેમ્પિયન બનવામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું હતું.

ધોનીએ બહાર કર્યા પછી નિવૃત્તિનો વિચાર

હાલમાં જ સેહવાગે પોતાના કરિયરના એક ગુપ્ત પ્રસંગનો ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે 2008ની ઓસ્ટ્રેલિયા સામેની ત્રિકોણીય શ્રેણી દરમિયાન ટીમના તે સમયના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ તેમને બહાર બેસાડ્યા હતા. શરૂઆતની ત્રણ મેચ બાદ જ સેહવાગને પ્લેઇંગ ઇલેવનમાંથી કાઢી નાખવામાં આવ્યા. આ ઘટનાથી નિરાશ સેહવાગે મન બનાવી લીધું કે જો તેઓ સતત ટીમમાં સ્થાન જાળવી શકતા નથી તો વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી જ તેમના પોતાના માટે યોગ્ય રહેશે. સેહવાગે કોમેન્ટેટર પદ્મજીત સેહવાગની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું કે – “જો મને ટીમમાં જ સ્થાન મળતું નથી, તો ODI રમવાનો કોઈ અર્થ નથી રહેતો.”

સચિન તેંડુલકરની સેહવાગ ને સલાહ

નિવૃત્તિનો નિર્ણય લેતા પહેલાં સેહવાગે પોતાના આદર્શ અને સિનિયર ખેલાડી સચિન તેંડુલકર સાથે ચર્ચા કરી હતી . સેહવાગના જણાવ્યા પ્રમાણે, તેમણે સચિનને કહ્યું કે હવે તેઓ વનડેમાંથી નિવૃત્તિ લેવા માગે છે. તેંડુલકરે તેમને રોકતા કહ્યું કે – “મારા જીવનમાં પણ 1999-2000 દરમિયાન એવો જ સમય આવ્યો હતો. એ સમયે હું પણ નિવૃત્તિ લેવાનો વિચારતો હતો. પરંતુ સમય જતાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. તું પણ ઉતાવળમાં કોઈ નિર્ણય ના લે. થોડા સમય માટે રાહ જો , 1-2 શ્રેણી રમીને પછી વિચાર. ‘સચિનની આ સલાહ સેહવાગ માટે “ટર્નિંગ પોઇન્ટ” સાબિત થઈ હતી‘.

2008ની શ્રેણીનું પ્રદર્શન

ત્રિકોણીય શ્રેણીમાં સેહવાગનો બેટિંગ ફોર્મ ખરાબ રહ્યો હતો. તેમણે 5 મેચમાં કુલ 81 રન જ બનાવ્યા હતા. બીજી તરફ, ગૌતમ ગંભીરે અદભૂત પ્રદર્શન કરીને 55ની સરેરાશથી 440 રન બનાવ્યા હતા અને ટૂર્નામેન્ટના ટોચના રનસ્કોરર બન્યા હતા. સચિન તેંડુલકર પોતે પણ સારું રમ્યા હતા અને 10 ઇનિંગ્સમાં 399 રન બનાવી બીજા સૌથી મોટા સ્કોરર રહ્યા હતા. જણાવી દઇએ કે, ભારતે આ શ્રેણી જીતી હતી.

વાપસી અને ટીમમાં મહત્વપૂર્ણ ભૂમિકા

સચિનની સમજણથી પ્રેરાઈ સેહવાગે તરત નિવૃત્તિ ન લીધી અને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પરિણામે તેઓ ધમાકેદાર વાપસી કરી શક્યા. આગામી શ્રેણીઓમાં તેમણે મહત્વપૂર્ણ રનોની નોંધ કરી અને ફરીથી ટીમના ઉપ-કપ્તાન પણ બન્યા. 2011 ના વર્લ્ડ કપમાં તેમનું પ્રદર્શન ભારતીય ટીમ માટે ખૂબ જ કારગર સાબિત થયું. સેહવાગ 2012 સુધી ધોનીની આગેવાની હેઠળની ટીમનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યા. તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ માર્ચ 2013માં હૈદરાબાદ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ હતી. અંતે, પોતાના જન્મદિવસે – 20 ઑક્ટોબર 2015ના રોજ સેહવાગે સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી.


Related Posts

Load more